India-US Trade Deal: ‘ખેડૂતોને કોઈ નુકસાન નહીં થાય,

By: Nation Gujarat Team
06 Feb, 2026
India-US Trade Agreement: ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટને લઈને વિપક્ષ દ્વારા લગાવવામાં આવી રહેલા આરોપો વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સ્પષ્ટ કર્યું છે કે, આ એગ્રીમેન્ટ (કરાર) ભારતના કૃષિ હિતોની, ખાસ કરીને ખેતી અને ડેરી ક્ષેત્રના હિતોની સંપૂર્ણ રીતે રક્ષા કરે છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ એગ્રીમેન્ટ રાજનીતિ, વિકાસ અને ગૌરવનું નવું માપદંડ સ્થાપિત કરે છે. વડાપ્રધાને શરૂઆતથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે, ખેડૂતોના હિતો સાથે કોઈ સમજૂતી નહીં કરવામાં આવે. શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, દેશના 50%થી વધુ કાર્યબળને રોજગાર આપતા ક્ષેત્રમાં ભ્રમથી બચવા માટે સ્પષ્ટ સંવાદ જરૂરી છે. તેમણે ફરી એકવાર કહ્યું કે, “ખેડૂત અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમનું કલ્યાણ જ રાષ્ટ્રનું કલ્યાણ છે.” તેમણે કહ્યું કે, કૃષિ સ્વાભિમાન જાળવી રાખવા માટે ભારતનું વલણ દૃઢ અને કોઈ સમજૂતી વગરનું છે.
દિલ્હીમાં મીડિયાને સંબોધિત કરતા શિવરાજ સિંહ ચૌહાણે ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટ બાદ ભારત તરફથી અમેરિકામાં કરવામાં આવતા એક્સપોર્ટને લઈને કહ્યું કે, ભારત પહેલેથી જ અમેરિકા સહિત અનેક દેશોને એક્સપોર્ટ કરે છે અને તાજેતરમાં લગભગ ₹63,000 કરોડનું નિર્યાત (એક્સપોર્ટ) નોંધાયું છે. તેમણે કહ્યું કે, શુલ્કમાં ઘટાડાથી ભારતના ચોખા, મસાલા અને વસ્ત્રોના નિર્યાત (એક્સપોર્ટ)ને સીધો લાભ થશે. વસ્ત્રોના નિર્યાતમાં વધારાથી કપાસ ઉગાડતા લાખો ખેડૂતોને ફાયદો થશે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે, વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવી રહેલી ખોટી માહિતી છતાં આ કરાર સંપૂર્ણ રીતે ભારતીય ખેડૂતોના હિતમાં બનાવવામાં આવ્યો છે અને નવા એક્સપોર્ટના અવસરો ખોલે છે.
આ કરાર ભારતીય કૃષિ માટે અવસરો પેદા કરશે: શિવરાજ સિંહ

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ભારતના મુખ્ય પાકો, ફળ, અનાજ અને ડેરી પ્રોડક્ટ્સ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેના પર કોઈપણ પ્રકારનો ખતરો નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, નાના અને મોટા તમામ ખેડૂતોના હિતની સંપૂર્ણ રક્ષા કરવામાં આવી છે અને આ કરાર ભારતીય કૃષિ માટે જોખમો નહીં, પરંતુ અવસરો પેદા કરશે.
ખેડૂતોને કોઈ નુકસાન નહીં થાય: કૃષિ મંત્રી

કૃષિ મંત્રીએ ખાતરી આપી કે ભારત-અમેરિકા ટ્રેડ એગ્રીમેન્ટના કારણે ખેડૂતોને કોઈ જ પ્રકારનું નુકસાન નહીં થાય. ભારતના તમામ મુખ્ય પાકો, અનાજ, ફળો અને ડેરી ઉત્પાદનો સુરક્ષિત છે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરીના તાજેતરના ટ્વીટથી ઉભી થયેલી ભ્રમની સ્થિતિ પર શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે પહેલેથી જ સંસદમાં તથ્યો સ્પષ્ટ કરી ચૂક્યા છે.

Related Posts

Load more